
સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસને ગુરુવારે નવી ‘એન્ડરસન-તેંડુલકર ટ્રોફી’નું અનાવરણ કર્યું. આ ટ્રોફી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણીમાં વિજેતા ટીમને આપવામાં આવશે. અગાઉ આ ટ્રોફી પટૌડી ટ્રોફી તરીકે જાણીતી હતી. પટૌડી ટ્રોફી 2007 માં શરૂ થઈ હતી. પટૌડી સિનિયરે ઇંગ્લેન્ડ અને ભારત માટે ક્રિકેટ રમી હતી. ટાઇગર પટૌડીએ ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું હતું.
ટ્રોફી પર મહાન ક્રિકેટરોના હસ્તાક્ષર
ટ્રોફીમાં તેંડુલકરના આઇકોનિક કવર ડ્રાઇવ અને એન્ડરસનની સિગ્નેચર બોલિંગ એક્શનની છબી છે, સાથે જ બંને મહાન ક્રિકેટરોના હસ્તાક્ષર પણ છે. બંને ક્રિકેટ બોર્ડ તરફથી એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “એન્ડરસન-તેંડુલકર ટ્રોફી ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચેની સંયુક્ત પહેલ છે, જે હવે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ભવિષ્યની તમામ ટેસ્ટ શ્રેણીનું પ્રતિનિધિત્વ કરશે. અગાઉ ઇંગ્લેન્ડમાં શ્રેણી પટૌડી ટ્રોફી માટે અને ભારતમાં એન્થોની ડી મેલો ટ્રોફી માટે રમાતી હતી.”
પટૌડી ટ્રોફી 2007 માં શરૂ થઈ હતી
પટૌડી પરિવાર ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી સાથે જોડાયેલો રહેશે. 2025 આવૃત્તિથી શરૂ થતી દરેક ઇંગ્લેન્ડ-ભારત ટેસ્ટ શ્રેણીના વિજેતા કેપ્ટનને એક નવો પટૌડી મેડલ આપવામાં આવશે. 2007 માં શરૂ થયેલી પટૌડી ટ્રોફીમાં ભારતે ઇંગ્લેન્ડને 1-0 થી હરાવ્યું. આ પછી, ઇંગ્લેન્ડે 2011, 2014 અને 2018 માં રમાયેલી શ્રેણી પર કબજો કર્યો. 2021 માં રમાયેલી શ્રેણી 2-2 થી ડ્રો રહી. શ્રેણીની 1 મેચ કોરોનાને કારણે પાછળથી રમાઈ હતી, જેમાં ઇંગ્લેન્ડે જીત મેળવી હતી.
સચિન તેંડુલકર ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે પોતાની કારકિર્દીમાં રમાયેલી 200 ટેસ્ટની 329 ઇનિંગ્સમાં 53.78 ની સરેરાશથી 15921 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેણે 51 સદી તેમજ 68 અડધી સદી ફટકારી હતી. બીજી તરફ, જેમ્સ એન્ડરસને પોતાની કારકિર્દીમાં રમાયેલી 188 ટેસ્ટમાં 704 વિકેટ લીધી હતી. તે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલર છે.
