
મહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. શિવસેના (UBT)ના સચિવ સંજય લાખે પાટીલે પાર્ટી છોડી દીધી છે. ગયા વર્ષે લોકસભા ચૂંટણી પહેલા સંજય લાખે પાટીલ કોંગ્રેસ છોડીને શિવસેના (UBT)માં જોડાયા હતા. પાર્ટી છોડ્યા બાદ તેમણે પાર્ટી પર લોકસભા ચૂંટણીમાં ટિકિટ અંગે આપેલા વચનને પૂર્ણ ન કરવાનો આરોપ લગાવ્યો છે. સંજય લાખે પાટીલે રાજ્યસભાના સાંસદ સંજય રાઉત પર પણ પ્રહારો કર્યા છે.
સમાચાર એજન્સી PTI અનુસાર, સંજય લાખે પાટીલે દાવો કર્યો છે કે જ્યારે તેઓ કોંગ્રેસ છોડીને શિવસેના UBTમાં જોડાયા હતા, ત્યારે તેમને જાલના બેઠક પરથી ટિકિટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ જાલના બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા અને મને પાર્ટી દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે જાલના બેઠક શિવસેના UBT પાસે રહેશે અને બદલામાં પાર્ટી સાથી પક્ષો માટે સાંગલી બેઠક છોડી દેશે.
જાલના બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાના નામે શિવસેના (UBT)માં સામેલ થયાનો દાવો કરતા સંજય લાખે પાટીલે આરોપ લગાવ્યો કે છેલ્લી ઘડીએ મને અવગણવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે સંજય રાઉતે તેમના અંગત એજન્ડાને કારણે આવું થવા દીધું નહીં. સંજયે વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવે પર પણ ગંભીર આરોપો લગાવ્યા હતા અને કહ્યું હતું કે દાનવે વારંવાર તેમના વિચારોને હાઇજેક કરી રહ્યા હતા અને તેનો શ્રેય પોતે લીધો હતો.
તેમણે કહ્યું કે તેમને વારંવાર શિવસેના (UBT)માં બાજુ પર રાખવામાં આવી રહ્યા હતા અને દાનવેએ આ પાછળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ, સંજય લાખે પાટિલનું શિવસેના (UBT) છોડવું હવે ઉદ્ધવ ઠાકરે માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે લોકસભા ચૂંટણીમાં જાલના બેઠક શિવસેના (UBT)ના સાથી કોંગ્રેસને મળી હતી. કોંગ્રેસે આ બેઠક પરથી કલ્યાણ કાલેને ટિકિટ આપી હતી અને તેઓ ચૂંટણી જીતીને સંસદમાં પહોંચવામાં સફળ રહ્યા હતા. જાલના ક્ષેત્રમાં, શિવસેના (UBT) માત્ર વિપક્ષ તરફથી જ નહીં પરંતુ સાથી પક્ષો તરફથી પણ પડકારોનો સામનો કરી રહી છે.
