
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ, 1952ની કલમ 4 ની પેટા-કલમ (4) અને (1) હેઠળ, ભારતના ચૂંટણી પંચે 07.08.2025 ના રોજ જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી, 2025 માટે નામાંકન દાખલ કરવા, તેની ચકાસણી કરવા અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તારીખો તેમજ મતદાનની તારીખ (જો જરૂરી હોય તો)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત જાહેરનામું આજે ભારતના ગેઝેટમાં પ્રકાશિત થયું છે અને રાજ્યના ગેઝેટમાં તેમની સત્તાવાર ભાષાઓમાં ફરીથી પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે.
ઉપરોક્ત સૂચના અને ભારતીય ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર, ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી, 2025 માટેના રિટર્નિંગ અધિકારી અને રાજ્યસભાના મહાસચિવે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી નિયમો, 1974ના નિયમ 3 હેઠળ ભારતના ગેઝેટમાં, ઉપરોક્ત નિયમો સાથે જોડાયેલા ફોર્મ 1 માં એક જાહેર સૂચના પ્રકાશિત કરી છે, જે રાજ્ય ગેઝેટમાં તેમની સત્તાવાર ભાષાઓમાં પણ ફરીથી પ્રકાશિત થઈ રહી છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર
1) RO/ARO ને ઉમેદવારીપત્રો પહોંચાડવાનું સ્થળ RO નું કાર્યાલય, રૂમ નં. RS-28, પહેલો માળ, સંસદ ભવન, નવી દિલ્હી રહેશે.
2) ઉમેદવારીપત્રો પહોંચાડવાની તારીખ અને સમય: 21.08.2025 પહેલા કોઈપણ દિવસે (જાહેર રજા સિવાય) સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી રહેશે.
3) સિક્યોરિટી ડિપોઝિટ: ૧૫,૦૦૦ રૂપિયા, રોકડમાં RO પાસે અથવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં અથવા સરકારી ટ્રેઝરીમાં જમા કરાવવાના રહેશે.
4) નામાંકન પત્ર સાથે રજૂ કરવાના દસ્તાવેજો:
a. જે સંસદીય મતવિસ્તારમાં ઉમેદવાર મતદાર તરીકે નોંધાયેલ છે તે મતદાર યાદીમાં ઉમેદવારની નોંધણીની પ્રમાણિત નકલ.
b. સિક્યોરિટી ડિપોઝિટની રસીદ.
5) ઉપર દર્શાવેલ કાર્યાલયમાંથી દર્શાવેલ સમયે ઉમેદવારીપત્રોના ફોર્મ મેળવી શકાશે.
6) ઉમેદવારીપત્રોની ચકાસણીનું સ્થળ: રૂમ નં. F-100, સંગોષ્ઠી-2, પહેલો માળ, સંસદ ગૃહ, નવી દિલ્હી રહેશે.
7) ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ અને સમય: 22.08.2025 સવારે 11 વાગ્યે.
જો ચૂંટણી યોજવી જરૂરી બને તો, ભારતીય ચૂંટણીપંચના તા. 07.08.2025ના જાહેરનામા પ્રમાણે મતદાન 09.09.2025ના રોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા દરમિયાન રૂમ નં F-101, વસુધા, પહેલો માળ, સંસદ ભવન, નવી દિલ્હી ખાતે યોજવામાં આવશે.
