
પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ છે. શુક્રવારે ઇઝરાયલ દ્વારા ઇરાનના પરમાણુ સ્થાપનો પર બોમ્બમારો કર્યા બાદ, ઇરાને શનિવારે વહેલી સવારે મિસાઇલો અને ડ્રોનથી ઇઝરાયલ પર હુમલો કરીને બદલો લીધો. આ હુમલામાં ઓછામાં ઓછા 3 લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા. ઇરાનનો દાવો છે કે ઇઝરાયલી હુમલામાં તેના 78 નાગરિકો માર્યા ગયા અને 320 થી વધુ ઘાયલ થયા.
ઇઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, તેમણે ગુપ્ત રીતે ઇરાનમાં લાવવામાં આવેલા ડ્રોન અને ફાઇટર પ્લેનની મદદથી અનેક પરમાણુ સ્થાપનો, લશ્કરી સ્થાપનો અને વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા. જવાબમાં, ઇરાને શનિવારે રાત્રે જેરુસલેમ અને તેલ અવીવ પર ડઝનેક બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન છોડ્યા. પરિણામે, તેલ અવીવમાં 34 લોકો ઘાયલ થયા અને રિશોન લેઝિયન શહેરમાં બે લોકોએ જીવ ગુમાવ્યા.
આ યુદ્ધ દરમિયાન, અમેરિકાએ લશ્કરી કાર્યવાહીથી પોતાને દૂર રાખ્યા, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને વહેલા કરાર માટે અપીલ કરતા કહ્યું કે આ તેહરાન માટે “બીજી તક” છે. જો કે, તેમણે એ પણ સ્વીકાર્યું કે ઇઝરાયલે અમેરિકન શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. ઇરાની વિદેશ મંત્રાલયે રવિવારે અમેરિકા સાથેની પરમાણુ વાટાઘાટોને “નિરર્થક” ગણાવી. દરમિયાન, તેહરાનમાં આખી રાત વિસ્ફોટોના અવાજો ગુંજી ઉઠ્યા. ઈરાનના રાજ્ય મીડિયાએ ઈઝરાયલ પરના હુમલાને “બદલો” ગણાવ્યો અને તેને ટીવી પર લાઈવ દર્શાવવામાં આવ્યું.
ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે ચેતવણી આપી હતી કે જો ઈરાન મિસાઈલ છોડવાનું ચાલુ રાખશે તો “તેહરાનનો નાશ થશે”. તેમણે કહ્યું કે ઈરાને દરેક નુકસાન માટે ભારે કિંમત ચૂકવવી પડશે. આ સમગ્ર ઘટનાએ માત્ર ઈરાન-યુએસ પરમાણુ કરારની સંભાવનાઓને જ ધૂંધળી બનાવી નથી, પરંતુ સમગ્ર પશ્ચિમ એશિયાને લાંબા યુદ્ધની અણી પર પણ લાવી દીધું છે. ઈઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈરાનનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે નાશ ન પામે ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે.
